ConstructionGovernmentInfrastructureLand ScapingUrban Development

ઉદ્યોગ એકમોને સિટીથી બહાર સ્થળાંતરિત કરનારાઓને, સરકારનો 2.5 FSI આપવાનો પ્લાન

ગુજરાત સરકાર શહેરની હદમાં આવેલી ઉદ્યોગ એકમોને શહેરની બહાર સ્થળાંતર કરવા માટે ઓછામાં ઓછો બમણો FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) આપવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. સાથે જ કન્વર્ઝન અને FSI ફેરફાર માટે વસૂલવામાં આવતી ફી પણ માફ કરવામાં આવે તેવી શક્યતા છે તેવું સરકારી સૂત્રો દ્વારા માહિતી મળી છે.

રાજ્ય સરકારે THRIVE (Transition for Harmonized Relocation and Inclusive Vibrant Economy) યોજના જાહેર કરી હતી, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ઉદ્યોગોને શહેરની બહાર સ્થળાંતર કરવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે.

સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “ઉદ્યોગ અને ખાણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા નાણાં વિભાગના અધિકારીઓ THRIVE યોજના હેઠળ સ્થળાંતર કરનાર ઉદ્યોગોને કેટલો FSI આપવો તે અંગે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ સિદ્ધાંતતઃ સરકારે ઓછામાં ઓછો બમણો FSI આપવાનો નિર્ણય કર્યો છે.”

હાલમાં શહેરની બહાર સ્થળાંતર કરનાર ઉદ્યોગોને 1.2 FSI આપવામાં આવે છે. પ્રસ્તાવિત યોજના હેઠળ આ FSI 2.5 અથવા તેનાથી વધુ રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેથી વધુ ઉદ્યોગો શહેરની બહાર સ્થળાંતર કરવા પ્રોત્સાહિત થાય.

જો કે ઉદ્યોગ જગતે આ પ્રસ્તાવ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે અને જણાવ્યું છે કે સ્થળાંતરના નવા સ્થળે પૂરતી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવી આ યોજનાની સફળતા માટે જરૂરી છે. ઉદ્યોગો શહેરથી બહુ દૂર જવા પણ ઇચ્છતા નથી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ની GIDC કમિટીના ચેરમેન અજય પટેલે જણાવ્યું કે, “અમદાવાદના નરોડા, વટવા, ઓઢવ અને કઠવાડા GIDC વિસ્તારમાં આશરે 5,000 ઉદ્યોગ એકમો કાર્યરત છે, જે શહેરની અંદર ઉદ્યોગ પ્રવૃત્તિના વ્યાપને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, “સાયખા જેવા દૂર આવેલા ઔદ્યોગિક વિસ્તારો વિકસાવવામાં આવ્યા હોવા છતાં પૂરતી સુવિધાઓના અભાવે મોટા ભાગના એકમોએ સ્થળાંતર કર્યું નથી.”

અજય પટેલે જણાવ્યું કે, “વ્યવહારુ માર્ગ એ છે કે નવા ઔદ્યોગિક વિસ્તારમાં નવી ફેક્ટરી શરૂ કરી ઉત્પાદન, કર્મચારીઓ અને સપ્લાય ચેઇનને સ્થિર કર્યા બાદ જૂના એકમને તબક્કાવાર બંધ કરવામાં આવે. આ માટે સ્પષ્ટતા, સમયમર્યાદા અને પૂરતા સહયોગની જરૂર છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “જો સરકાર સ્થળાંતર સફળ બનાવવા માંગતી હોય તો ઉદ્યોગોને જરૂરી માળખાકીય સુવિધાઓ અને વાસ્તવિક જરૂરિયાત મુજબનો સમયગાળો આપવો પડશે.”

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અંકિત પટેલે જણાવ્યું કે, “જો MSME એકમોને શહેરથી 100 કિલોમીટરની અંદર પર્યાવરણીય સુવિધાઓ અને ઝડપી નિયમનકારી મંજૂરીઓ સાથે વિકલ્પ આપવામાં આવે તો સ્થળાંતર સફળ બની શકે છે.”

એક અગ્રણી કંપનીના ડિરેક્ટરે જણાવ્યું કે, “માત્ર જમીન ફાળવવા કરતાં વીજળી, પાણી, રસ્તા, ડ્રેનેજ, કનેક્ટિવિટી અને નિયમનકારી સહાય જેવી ઉદ્યોગ-તૈયાર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.”

THRIVE યોજના હેઠળ જાહેર કરાયેલા અન્ય પ્રોત્સાહનોમાં પ્રતિ કર્મચારી પ્રતિ મહિને રૂ. 5,000ની વેતન સહાય છ મહિના સુધી આપવાની જોગવાઈ તેમજ ઔદ્યોગિક પાર્ક અને સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ સ્થાપવા માટે મૂડી સહાયનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close