હવે રાજ્ય સરકાર અપનાવી શકે છે, જંત્રીના દરોમાં વાર્ષિક વધારાની પદ્ધતિ, દર વર્ષે 5% થી 10 %નો વધારાની સંભાવના

ગુજરાત સરકાર હવે જંત્રીના દરો વાર્ષિક વધારા કરવાની પદ્ધતિ અપનાવી શકે છે, દર વર્ષે જંત્રીના દરોમાં વર્ષે 5% થી 10 % નો વધારો કરે તેવી સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલશ્રી આનંદીબહેન પટેલે, આ પ્રકારે જંત્રીના દરોમાં વધારો કરવાની હિમાયતી કરી હતી. તે સમયે તેઓએ 18 એપ્રિલ-2011ના રોજ નવા જંત્રી દર લાગુ કરતી વખતે જાહેરાત કરી હતી કે, સરકાર વર્ષે 8 ટકા જેટલો વધારો જંત્રી દરમાં કરતી રહેશે. પરંતુ તે પછી આ જાહેરાત ભુલાઈ ગઈ હતી, અને આજે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતમાં જંત્રીના દરોમાં દર વર્ષે 5 ટકા થી 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે જંત્રીના દરોમાં થયેલા વધારા બાદ, મળેલાં સૂચનોને અભ્યાસ કરીને, તેના આધારે અમલવારી કરવાનું નક્કી કર્યું છે. 2024માં સૂચિત જંત્રી દર અગાઉ 2023માં નક્કી થયેલા બમણા દરો કરતાં અનેક શહેરી વિસ્તારમાં 5 થી 10 ટકા ગણા વધ્યા હતા. તેને બદલે હવે માત્ર તેમાં 25 ટકાનો વધારો કરાશે તેવી સંભાવના સેવાઈ રહી છે. જો કે, રાજ્ય સરકાર આગામી ચારથી પાંચ વર્ષમાં વાર્ષિક 20થી 25 ટકાનો જંત્રી વધારો કરીને તેને 2024ના સૂચિત દરોની લગોલગ લાવી દેશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય-ભાસ્કર