રાજ્યભરમાં ગ્રામ્ય-નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે. રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ કરેલા નિર્ણયો અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની મહા નગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. જેના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરત ફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે (suo-motu) નોંધ પાડવાની રહેશે.
રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનમાં સિટિઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.
પ્રવક્તા ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યુ છે કે, મુખ્યમંત્રીના આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂની શરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.
રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. આ અંગે પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યુ છે કે, રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે તેની મુખ્ય બાબતો નીચે મુજબ છે.
- સંબંધિત કલેકટરશ્રીને અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
- પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રિમિયમ /દંડ/ રૂપાંતરણ /વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
- પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહિ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતુ, ગાંધીનગર, ગુજરાત સરકાર