કેન્દ્રિય કેબિનેટે, ગુજરાતમાં નેશનલ હાઈવે-56ના અપગ્રેડેશન માટે 4583 કરોડની આપી મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં, ગુજરાતમાં નેશનલ હાઈવે-56ના મહત્વપૂર્ણ અપગ્રેડેશન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કુલ 4,583.64 કરોડના મૂડી ખર્ચ સાથે 107.67 કિલોમીટર લાંબા પ્રોજેક્ટ અંતર્ગત ધમાસિયા–બીટાડા/મોવી (47.46 કિમી) અને નસરાપોર–મલોથા (60.21 કિમી) માર્ગખંડને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) હેઠળ ચાર લેનમાં વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ NH-56નો ભાગ છે, જે રાજસ્થાનના Nimbaheraથી શરૂ થઈ ગુજરાતના દાહોદ જિલ્લામાંથી પસાર થાય છે, ત્યારબાદ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં પ્રવેશી ફરીથી ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે વાપી નજીક NH-48 સાથે જોડાય છે.

મંજૂર થયેલો પ્રોજેક્ટ નર્મદા જિલ્લાના આશાસ્પદ (Aspirational) વિસ્તારમાંથી પસાર થાય છે અને દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ભરૂચના આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારશે. આ ઉપરાંત, કેવડિયા ગામે આવેલ વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ Statue of Unity સુધી પહોંચ વધુ સુગમ બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી NH-56થી આશરે 11 કિલોમીટર દૂર આવેલ છે.
આ માર્ગ 100 કિમી પ્રતિ કલાકની ડિઝાઇન ગતિ માટે બનાવવામાં આવી રહ્યો છે, જે સરેરાશ 70 કિમી પ્રતિ કલાકની ગતિ શક્ય બનાવશે. પરિણામે મુસાફરીનો સમય 2.5 કલાકથી ઘટીને 1.5 કલાક રહેશે, એટલે કે આશરે 40 ટકા ઘટાડો થશે.
107.67 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટથી અંદાજે 19.38 લાખ માનવ-દિવસનું સીધું રોજગાર અને 22.82 લાખ માનવ-દિવસનું પરોક્ષ રોજગાર સર્જાશે. માર્ગ વિકાસને કારણે આસપાસના વિસ્તારોમાં વધતી આર્થિક પ્રવૃત્તિઓથી વધુ રોજગારીની તકો ઊભી થશે.

રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રાલય અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે, જાંબુગામ (બોડેલી)–મલોથા (175 કિમી) માર્ગખંડને ચાર લેનમાં અપગ્રેડ કરવાની કામગીરી ચાર પેકેજ હેઠળ હાથ ધરાઈ છે. જાંબુગામ (બોડેલી)થી ધમાસિયા અને મોવીથી નસરાપોર વચ્ચેના માર્ગખંડના કામો પહેલેથી જ સોંપાઈ ચૂક્યા છે અને નવેમ્બર 2025થી બાંધકામ કાર્ય શરૂ થઈ ગયું છે, જે બે વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે.
હાલના પેકેજ પૂર્ણ થતાં જ બોડેલીથી મલોથા સુધી સતત ચાર લેન કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, જેના કારણે NH-56 પરનો ટ્રાફિક ભાર ઘટશે તેમજ NH-53, NH-48 અને Delhi–Mumbai Expressway સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



