બીયુ પહેલાં વેચાણ થતી તમામ મિલકતો પર, મ્યુનિ. કોર્પોરેશન વસૂલ કરશે ટ્રાન્સફર ફી

બીયુ પહેલા વેચાણ થતી તમામ મિલકતો પર, મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવી પડશે ટ્રાન્સફર ફી, કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, નવી બંધાતી મિલકતોમાં બીયુ પરમિશન મળ્યા બાદ માલિક બદલાય ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાન્સફર ફી મળી હતી. પરંતુ, હવે જે પણ મિલકત બંધાઈ હોય તે તમામની ટ્રાન્સફર ફી મ્યુનિસિપલ કોર્પોરેશન વસૂલ કરશે. જેને કારણે, મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજે 6 થી 7 કરોડની આવક થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યૂ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડે. ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે, બિલ્ડરે બાંધેલા મકાનોમાં પ્રથમ માલિક બિલ્ડર પોતે જ ગણાય છે. જોકે, બીયુ પરમિશન આવતાં સુધીમાં 30 ટકા કિસ્સામાં મકાનોનું વેચાણ થઈ જતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી, હવે બિલ્ડરો જેટલી મિકલતો બનવાશે તે તમામ મિલકતના વેચાણ થતાં તમામ એકમોમાં મ્યુનિસિપલ ટ્રાન્સફર ફી વસૂલ કરશે.
નોંધનીય છે કે, આ નિર્ણય આજથી એટલે કે, 30 જાન્યુઆરી-2025 થી જ લાગુ થયો છે. જો કે, વીલ વારસાથી થતાં નામ ટ્રાન્સફરમાં આ નિયમ લાગુ પડશે નહીં.

નીચે મુજબ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.
રહેણાંક ટ્રાન્સફર ફીની રકમ
25 લાખ 1000
25 લાખથી 50 લાખ સુધી 2000
50 લાખથી 1.5 કરોડ દસ્તાવેજની કિંમતના 0.1 ટકા
1.5 કરોડથી વધુની દસ્તાવેજની કિંમતના 0.2 ટકા
કોમર્શિયલ
25 લાખ 2000
25 લાખથી 50 લાખ સુધી 4000
50 લાખથી 1.5 કરોડ દસ્તાવેજની કિંમતના 0.2 ટકા
1.5 કરોડથી વધુની દસ્તાવેજની કિંમતના 0.4 ટકા
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.