રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી, ઝડપી અને અસરકાર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી, ઝડપી અને અસરકાર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે માટે જરૂરી તમામ નીતિગત તકનીકી અને યોજનાકીય સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે તેમ મહેસૂલ વિભાગ વતી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મંગળવારે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં મહેસૂલી સુધારાઓ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના મહેસૂલ વિભાગની કુલ ૩,૨૫૯ કરોડથી વધુની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરી હતી. જે ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
રાજ્યના મહેસૂલ વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને અનુરૂપ મહેસૂલી સેવાઓને ઓનલાઈન અને અદ્યતન કરવામાં આવી છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેકનોલોજીના માધ્યમથી સુપેરે આગળ વધારી રહ્યા છે.
જે માટે આઈ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઈ, વારસાઈ નોંધ, હયાતી હકક તેમજ નમૂના-૬, નમૂના ૭/૧ર અને નમૂના ૮/અ ની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય છે. આ પ્રકારે અંદાજે ૩૬ પ્રકારની સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે અને જાન્યુઆરી ર૦ર૫ સુધી ર.૯૧ કરોડથી વધુ નકલો ઓનલાઈન જારી કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં, આ પોર્ટલ સાથે ઈ-ધરા અને સિટી સરવે ઈન્ફર્મેશન સિસ્ટમના જોડાણથી બિનખેતી બાદ તુરત જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થઈ જાય છે. જમીનના દસ્તાવેજોની સંવેદનશીલતા અને અગત્યતા દ્યાને રાખીને જૂના રેકર્ડને સ્કેનિંગ કરવાનું આયોજન છે.
રાજ્યમાં મહેસૂલી સુધારાની વાત કરતાં મંત્રીએ કહ્યું કે ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓને સરળ બનાવાતાં ૫૫ ટકા જેટલી અરજી ઘટી છે. જ્યારે શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રીમીયમ વસૂલીને શરતફેરની મંજૂરીની પ્રક્રિયા માટે પ કરોડ સુધીની સત્તા કલેકટરને આપવામાં આવી છે. તેનાથી બિન ખેતીની પ્રક્રિયા અને પરવાનગીઓ ઝડપી બનશે.
વધુમાં મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે જમીન સંપાદન થયા બાદ ચોકકસ સમયમાં જમીન ખરીદ કરી શક્યા ન હોય કે અરજી કરી શક્યા ન હોય તેવા ખેડૂતો તા. ર૯ નવેમ્બર, ર૦ર૪ના ઠરાવ મુજબ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકે છે. જે તે સમયે પ્રિમીયમ વસૂલ્યા વગર આપેલી બિનખેતી પરવાનગીઓને હવે ૧૦ ટકા પ્રિમીયમ સાથે બિન ખેતીની પરવાનગી કરી આપવામાં આવશે.
તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સી.સી.ટી.વી. અને ઓનલાઈન કનેક્ટિવિટીથી અનધિકૃત અવરજવર ઉપર અંકુશ મૂકી શકાશે અને સિનિયર સરવેયરની ભરતી કરીને દફતરી ખાતાની કામગીરીને વેગ મળશે. રાજયમાં ૩૧૦ સેવા-કેન્દ્રો દ્વારા ૧૪૮ જેટલી સેવાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. જેમાંથી ૪ર સેવાઓનો નિકાલ માત્ર એક જ દિવસ કરવામાં આવે છે. આ જનસેવા કેન્દ્રોને હવે વધુ આધુનિક અને સુવિધાયુકત બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી વિભાગ ગાંધીનગર, ગુજરાત સરકાર