જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

જામનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું છે. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે.જ્યારે ઈન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે.

આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે.
આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડર સ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતું, ગુજરાત સરકાર, ગાંધીનગર



