15 ઓગસ્ટ, 2027ના રોજ બુલેટ ટ્રેનનો ટ્રાયલ ગુજરાતથી શરુ થશે-કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની કુમારની જાહેરાત

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છેકે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ ના રોજ કાર્યરત થશે. તેનું ઉદ્ધઘાટન દક્ષિણ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ દોડાવીને કરાવવામાં આવશે. આ સાથે, બુલેટ ટ્રેન દ્વારા મુસાફરો માત્ર 2 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોચશે. અને જાપાનની અત્યાધુનિક શિંકનસેન ટેકનોલોજી પર આધારિત, હાઇ-સ્પીડ રેલ સેવા મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ, ગતિ અને સલામતી પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં, રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાર તબક્કામાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં સુરત-બીલીમોરા સેક્શન પર ટ્રાયલ રન અને કોમર્શિયલ કામગીરી શરૂ થશે. એકવાર બધા તબક્કા પૂર્ણ થઈ જાય, પછી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેના સમગ્ર ૫૦૮ કિલોમીટરના કોરિડોરને આવરી લેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાંધકામ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. નદીના પુલ, વાયડક્ટ્સ અને સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે. સુરત-બીલીમોરા પટને પ્રાથમિકતા આપવામાં આવી છે, કારણ કે કોરિડોરના અન્ય ભાગોની તુલનામાં આ વિભાગનું બાંધકામ અદ્યતન તબક્કામાં છે.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કોરિડોરનું ઉદ્ઘાટન તબક્કા
• સુરતથી બિલીમોરા – પ્રથમ વિભાગ ખુલશે
• વાપીથી સુરત – આગામી તબક્કો
• વાપીથી અમદાવાદ – ત્રીજો તબક્કો
• થાણેથી અમદાવાદ – અનુગામી તબક્કો
• મુંબઈથી અમદાવાદ – અંતિમ તબક્કો
ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- દેશ ગુજરાત



